સોજિત્રા રેલવે ફાટક નજીક 'હીટ એન્ડ રન' બાઇક ચાલકનું મોત

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
સોજિત્રા રેલવે ફાટક નજીક 'હીટ એન્ડ રન' બાઇક ચાલકનું મોત 1 - image


- કાર ચાલક ટક્કર મારી ભાગી ગયો

- માતરના માલાવાડા ગામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું

આણંદ : આણંદ જિલ્લાના સોજિત્રાના રેલવે ફાટક નજીક ગત રોજ હીટ એન્ડ રનની એક ઘટનામાં મોટરસાયકલ ચાલક વૃધ્ધનું કારની ટક્કરે ગંભીર રીતે ઘવાતા સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સોજિત્રા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 માતર તાલુકાના માલાવાડા ગામે રહેતા અશોકભાઈ શ્રીમાળી કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. ગત રોજ અમાસ હોઈ તેઓ પોતાના મોટરસાયકલ પર સવાર થઈ આણંદ તાલુકાના વહેરાખાડી ગામે પૂજા અર્થે આવ્યા હતા.  

બપોરના લગભગ ૧૨-૩૦ કલાકની આસપાસના સુમારે તેઓ સોજિત્રા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી ચઢેલ એક કારે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર અશોકભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા. 

અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક કાર સાથે તારાપુર તરફ ભાગી છૂટયો હતો. બીજી તરફ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.  ગંભીર રીતે ઘવાયેલ અશોકભાઈને તુરત જ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરુણ મોત નિપજ્યું હતું. 

આ બનાવ અંગે યોગેન્દ્રકુમાર શ્રીમાળીએ સોજિત્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News