ખંભળોજ ગામમાં સરદાર આવાસ યોજનામાં વીજ જોડાણ ના મળતા હાલાકી
- 13 વર્ષથી વીજળી ના મળતી હોવાનો સ્થાનિકોનો દાવો
- વર્ષ- 2010 માં ફાળવેલા ૬૫ આવાસોમાં તંત્રને અનેક રજૂઆત છતાં ઉકેલ ના આવતો હોવાનો રહિશોનો આક્ષેપ
ખંભોળજ ગામે રહેતા અને સરદાર આવાસમાં જેઓને આવાસ ફાળવવામાં આવ્યું છે તેવા વિજયકુમાર પૂંજાભાઈ પરમાર દ્વારા સરદાર આવાસમાં વીજ જોડાણ ન મળવા અંગે છેલ્લા દસેક વર્ષથી સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ અનેકવાર લેખિત-મૌખિક રજુઆતો કરવામાં આવી છે પરંતુ આવાસની ફાળવણી થયાને ૧૩ વર્ષ વીતવા છતાં અનેક પરિવારો વીજ જોડાણથી વંચિત રહેવા પામ્યા છે.
ખંભોળજમાં સરદાર આવાસ યોજનાના આ ભાગમાં કુલ ૬૫ આવાસોની વર્ષ ૨૦૧૦માં ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકીના ૫૫ આવાસો હાલ ખાલીખમ છે. ત્યાં વસતા પરિવારોને વીજળીની સુવિધા ન મળતા તેઓ દિવાબત્તી અથવા તો સોલર પેનલના સહારે અંધકાર દુર કરી રહ્યા છે તેવું રહિશોએ જણાવ્યું છે. ઉપરાંત આવાસના લાભાર્થીઓને આવાસના પુરતા દસ્તાવેજી પુરાવા ન મળતા વીજ જોડાણ મળી શકતું નથી.
અરજદાર દ્વારા પંચાયતના શાસકોથી લઈ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબો આપી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી ન કરાતી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે. પંચાયતના માજી સરપંચો દ્વારા પણ આ મામલે ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.
જમીન ફાળવણી વિના આવાસનું બાંધકામ કરાયું હોવાનો તંત્રનો દાવો
આ અંગે પંચાયતના તલાટી કમ મંત્રી અનિષાબેન સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જમીન ફાળવણી વિના જ સરદાર આવાસનું બાંધકામ કરવામાં આવ્યું છે. આવાસોની જમીનની સનદ ન મળતા કેવી રીતે મકાનો બન્યા તેની જાણ નથી. હું જે-તે સમયે પંચાયતમાં હતી નહીં. જેથી સનદો ન મળતા આ અંગે પંચાયતમાં તપાસ કરાઈ હતી અને તાલુકા પંચાયતમાંથી સનદ મળતા તેમાં જોતા ઠરાવ પણ ન હતો અને સનદ ઉપર સહી પણ ન હતી. જેથી જમીન આપવાની પ્રક્રિયાનો છેદ ઉડયો હોવાનું લાગી રહ્યું છે. આ અંગે તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.