આણંદ જિલ્લામાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા, ઓપીડી સેવા ખોરવાઇ
- કોલકાતાની ઘટનાને લઇને રેલી યોજી વિરોધ દર્શાવ્યો
- જિલ્લાભરમાં શનિવારે દર્દીઓ હાલાકીમાં મુકાયા
આણંદ : કોલકતા દુષ્કર્મ કેસ અંગે દેશભરમાં ડોક્ટરો દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળમાં આણંદ જિલ્લાના ડોક્ટરો જોડાયાં હતાં. તેમજ આણંદ જિલ્લાના ડોક્ટર એસોસિએશન દ્વારા રેલી યોજવામાં આવી હતી. જિલ્લામાં સરકારી અને ખાનગી મળી અંદાજે ૭,૦૦૦થી વધુ દવાખાનાઓ આવેલા છે જેના ડૉક્ટરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેમાં આજે ઓપીડીઓ બંધ રહેતા હજારો દર્દીઓ હાલાકીમાં મુકાઇ ગયા હતા. જોકે વિરોધ પ્રદર્શન વચ્ચે માનવતાના ધોરણે ઇમરજન્સી કેસમાં દર્દીઓને સારવાર ચાલુ રખાઇ હતી.
આણંદ જિલ્લાના મોટાભાગના સરકારી અને ખાનગી દવાખાનાના તબીબો હડતાળ પર ઉતરી જતાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી, શરીરમાં દુઃખાવો સહિતના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે ડોક્ટર એસોસિએશનના ડો. વિજય ઠાકરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈમરજન્સી સેવાઓ જેવીકે, સિઝેરીયન, હાર્ટ એટેક, જીવલેણ અકસ્માત સહિતની ઘટનાઓમાં દર્દીનો જીવ બચાવવાની શક્યતા હશે તો ડોક્ટરો દર્દીની સારવાર કરશે. પેટલાદના ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા હતા.