આણંદ રેલવે સ્ટેશન ખાતે રિટાયરિંગ રૂમ અને ડોરમેટરીની સુવિધાનો આરંભ
- રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશે
- મુસાફરોની સુવિધામાં વધારો, બાકીના કામો સત્વરે પુરા કરવા માંગ
આણંદ રેલવે સ્ટેશન ખાતે આઈઆરસીટીસી દ્વારા રીટાયરીંગ રૂમ અને ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આણંદ રેલવે સ્ટેશનના બ્યુટિફીકેશન અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા આ મામલે લોલીપોપ બતાવવામાં આવતી હતી.
સદી પૂર્વે અંગ્રેજોના જમાનામાં આણંદ રેલવે સ્ટેશનનું નિર્માણ થયું હતું. આઝાદીના ચાર દાયકા બાદ કેન્દ્રીય રેલ મંત્રી રામવિલાસ પાસવાને હૈયાધારણા આપી હતી. જો કે તે પૂર્ણ થઈ ન હતી. બાદમાં ઓક્ટોબર ૨૦૨૨માં આણંદમાં મહેમાન બનેલ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આણંદના સાંસદની માંગને ધ્યાનમાં લઈ ત્વરિત નિર્ણય લઈ મંજૂરીની મહોર મારી હતી.
તાજેતરમાં પુનઃ એકવાર એનડીએની સરકાર બનતા અશ્વિની વૈષ્ણવ પુનઃ રેલમંત્રી બન્યા છે અને આઈઆરસીટીસી દ્વારા રેલવે સ્ટેશન ખાતે રીટાયરીંગ રૂમ અને ડોરમેટરીની સુવિધાનો આરંભ થતા આણંદના રેલવે સ્ટેશનની કાયાપલટની પ્રક્રિયા પણ સત્વરે ચાલુ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.