નાપા-વાંટા પાસે ફોરવ્હીલની ટક્કરે બાઈક ચાલકનું મોત

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
નાપા-વાંટા પાસે ફોરવ્હીલની ટક્કરે બાઈક ચાલકનું મોત 1 - image


- ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ગુનો દાખલ

- સૂરકુવાના બાઈક ચાલકને વિદ્યાનગર નોકરી પર જતા સમયે અકસ્માત નડયો

આણંદ : આણંદ-બોરસદ રોડ પર આવેલ નાપા-વાંટા છાપરા બસ સ્ટેન્ડ નજીક મંગળવારે બપોરે એક ફોરવ્હીલ ગાડી તથા મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ફોરવ્હીલ ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના સૂરકુવા ગામે લીમડીવાળા ફળીયામાં રહેતા દિપકભાઈ નટુભાઈ ગોહેલ વિદ્યાનગરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે બપોરે તેઓ પોતાનું મોટરસાયકલ લઈને વિદ્યાનગર ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. 

દરમિયાન તેઓ આણંદ-બોરસદ માર્ગ પર આવેલા નાપા-વાંટા છાપરા બસ સ્ટેન્ડ નજીકના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આણંદ તરફથી નાપા તરફ પૂરઝડપે જઈ રહેલા એક ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી દિપકભાઈની મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર દિપકભાઈ ઉછળીને રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈને સારવાર અર્થે બોરસદના સરકારી દવાખાના ખાતે લઈ જવાયા હતા. 

જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ભરતભાઈ નટુભાઈ ગોહેલે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફોરવ્હીલ ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News