આણંદના તુલસી ગરનાળા નજીક માલગાડીની અડફેટે યુવકનું મોત

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
આણંદના તુલસી ગરનાળા નજીક માલગાડીની અડફેટે યુવકનું મોત 1 - image


- અકસ્માત કે આત્મહત્યા અંગે ઘુંટાતુ રહસ્ય

આણંદ : આણંદના રેલવે સ્ટેશન નજીક શુક્રવારે એક યુવક માલગાડીની અડફેટે આવી જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આણંદના પરીખભુવન વિસ્તારમાં રહેતો શૈલેષ ડોડીયા (ઉં.વ.૨૯) શુક્રવારે શહેરના તુલસી ગરનાળા નજીકથી પસાર થતી રેલવે લાઈન પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન રેલવે ટ્રેક ઉપર એક  માલગાડી આવી ચઢતા શૈલેષ માલગાડીની અડફેટે આવી ગયો હતો. 

પરિણામે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આણંદ રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃત દેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે આણંદના સરકારી દવાખાના ખાતે મોકલી આપ્યો હતો. જો કે યુવકે આત્મહત્યા કરી કે અકસ્માતે મોત થયું તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હાલ તો રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News