નેસ ગામ પાસે ક્રેનની અડફેટે મોગરીના આધેડનું મોત
- અકસ્માત સર્જી ચાલક ફરાર
- ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન અને વહન માટે ઉપયોગમાં લેતા વાહનો અકસ્માત નોતરતા હોવાના આક્ષેપ
આણંદના મોગરી ગામે રહેતા અને ઠાસરા તાલુકાના નેસ ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવતા કનુભાઈ પરમાર (ઉં.વ. ૫૦) બુધવારે બપોરે ડાકોરથી નેસ ગામે પોતાની દુકાનનો સામાન લઈને ટુવ્હીલર પર જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ નેસ નજીક રસ્તાની સાઈડમાં ઉભા હતા. ત્યારે હાઈડ્રા ક્રેનના ચાલકે કનુભાઈને અડફેટે લીધા હતા. આસપાસમાં લોકો એકઠા થઈ જતાં ચાલક હાઈડ્રાક્રેન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.
જેથી સ્થાનિકોએ ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ડાકોર પોલીસ દોડી આવી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે હાઈડ્રાક્રેનનો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે આવીને ટુવ્હીલર ચાલકને અડફેટે લઈ રોડ પર ઘસેડયા હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. રાણીયા રોડ પર દસ દસ દિવસે એક અકસ્માત થાય છે, ડાકોર પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખનન માફિયાઓ અને કોરીઓવાળાના વાહનો પુરઝડપે દોડાવતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા છે. ત્યારે આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.