નગરા ગામે તળાવમાં ડૂબી જતાં માનસિક અસ્વસ્થ યુવકનું મોત

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
નગરા ગામે તળાવમાં ડૂબી જતાં માનસિક અસ્વસ્થ યુવકનું મોત 1 - image


- શક્કરપુરાનો યુવક સવારે ઘરેથી જાણ કર્યા વિના નિકળ્યો હોવાનું ખૂલ્યું 

આણંદ : ખંભાત તાલુકાના નગરા ગામે તળાવમાં ડુબી જવાના કારણે એક માનસિક રીતે અસ્વસ્થ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નગરા ગામે મોટી ભાગોળ તળાવમાં એક યુવક ડુબી રહ્યો હોવાનું સ્થાનિકોની નજરે ચઢતાં આ અંગે ખંભાત પાલિકાના ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરાઈ હતી. જેથી બંને ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓ દ્વારા તળાવમાં ઉતરી ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા દોરડા સાથે આંકડા ભેળવીને તળાવમાં નાખવામાં આવ્યા હતા, તેમ છતાં સફળતા ન મળતા ખરેખર યુવક ડુબ્યો છે કે કેમ તે અંગે સ્થાનિકોમાં અનેક શંકાઓ ઉઠવા પામી હતી.  સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બાદમાં સ્થાનિકોની મદદથી ટ્રેક્ટરમાં બોટ લાવવામાં આવતા તરવૈયાઓએ બોટમાં બેસી યુવકની શોધખોળ હાથ ધરી હતી. 

ધોધમાર વરસાદ વચ્ચે ખંભાત પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને ૧ કલાકની ભારે જહેમત બાદ સફળતા મળી હતી અને યુવકના મૃતદેહને તળાવમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક શક્કરપુર ખાતે રહેતો સતીષભાઈ નામનો વ્યક્તિ હોવાનું અને તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું તેમજ  બુધવારે સવારે તે ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય નીકળ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું.

 ખંભાત પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી  અકસ્માતે મોતની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News