દિલ્હીના યુવકે આણંદની અમૃતવાડી ખાતે ફાંસો ખાઇ આપઘાત કર્યો

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
દિલ્હીના યુવકે આણંદની અમૃતવાડી ખાતે ફાંસો ખાઇ આપઘાત કર્યો 1 - image


- એક્ઝિબિશનમાં સેલની કામગીરી માટે આણંદ આવ્યો હતો

- અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો, આણંદ શહેર પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી તપાસ આદરી

આણંદ : આણંદ શહેરના ગોપી સિનેમા નજીક આવેલા  અમૃતવાડીમાં દિલ્હીના એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મૂળ દિલ્હી ખાતે રહેતો સુનિલ જ્યંતિભાઈ સોલંકી (ઉં.વ.૨૫) નામનો યુવક ગત તા.૧૩મીના રોજ આણંદ શહેરના ગોપી સિનેમા નજીક આવેલ અમૃતવાડી ખાતે ચાલતા એક્ઝીબીશનમાં સેલની કામગીરી અર્થે આવ્યો હતો અને અમૃતવાડી ખાતેની ઉપલા માળે આવેલ રૂમમાં રહેતો હતો. દરમ્યાન ગઈકાલ રાત્રિના સુમારે કોઈ અગમ્ય કારણોસર તેણે સાડી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આજે સવારના સુમારે અન્ય કર્મચારીઓએ આ દ્રશ્ય નિહાળતા ભારે નાસભાગ મચી હતી.

 દરમ્યાન આ ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પંખા પરથી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દિલ્હીના યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હાલ તો પોલીસે તેના પરિવારજનો સાથે વાતચીત કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News