દાવોલ બ્રિજ નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
દાવોલ બ્રિજ નજીક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું 1 - image


- નાપાડ-વાંટાથી વહેરા જતા હતા

- આગળ જઈ રહેલી ટ્રકની પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત થયો

આણંદ : વાસદ-તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલા દાવોલ ગામના ઓવરબ્રિજ નજીક મંગળવારે રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલા એક મોટરસાયકલ આગળ જતી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘુસી જતા મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ આણંદ તાલુકાના નાપાડ-તળપદ તાબે ભગવાનનગર ખાતે રહેતા વિજયકુમાર ધુકારામ રાણા મંગળવારે સાંજના સુમારે તેઓના સગા વિનોદજી શિવાજી ભીલ સાથે મિત્રની મોટરસાયકલ ઉપર સવાર થઈ વહેરા ગામે રહેતા સંબંધિને મળવા માટે નિકળ્યા હતા. 

વિનોદજી ભીલ મોટરસાયકલ હંકારી રહ્યા હતા અને નાપાડ-વાંટાથી નીકળી આસોદર ગામ પસાર કરી વાસદ-તારાપુર હાઈવે રોડ ઉપર ચઢ્યા હતા. જ્યાં દાવોલ ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે વિનોદ ભીલે પોતાનું મોટરસાયકલ પૂરઝડપે હંકારતા આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ ધડાકાભેર ઘૂસી ગયું હતું.  આ અકસ્માતમાં વિનોદને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે તુરત જ બોરસદના સરકારી દવાખાના ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.


Google NewsGoogle News