વડદલા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

Updated: May 28th, 2024


Google NewsGoogle News
વડદલા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત 1 - image


- બોરસદ-તારાપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના 

- વાહનચાલક અકસ્માત બાદ ફરાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર હાઈવે માર્ગ પર આવેલ પેટલાદ તાલુકાના વડદલા પાટીયા નજીક આજે સવારના સુમારે હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનચાલકે એક મોટરસાયકલને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 પેટલાદ તાલુકાના વડદલા ગામે તોરણીયાકુઈ સીમ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નાથાભાઈ પાટણવાડીયાના નાના ભાઈ મનુભાઈ પત્ની સાથે બોરસદ ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. આજે સવારના લગભગ દશેક વાગ્યાની આસપાસના સુમારે મનુભાઈ પાટણવાડીયા તારાપુરથી બોરસદ ઘરે જવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. 

દરમ્યાન બોરસદ-તારાપુર હાઈવે માર્ગ પર આવેલ વડદલા ગામના પાટીયા નજીકથી તેઓ મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલ કોઈ અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર મનુભાઈ રોડ ઉપર ફંગોળાયા હતા અને તેઓના માથા તેમજ શરીરના અન્ય ભાગોેએ ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.  અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દિનેશભાઈ પાટણવાડીયાના ફરીયાદના આધારે અજાણઅયા વાહનચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News