આણંદ જિલ્લાનાં 55 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી
- ચૂંટણીમાં ઉભા તો રહ્યા પરંતુ પુરતા મત ન મેળવી શક્યા
- 32 અપક્ષો તેમજ આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી
ગત તા.૫-મી ડીસેમ્બરના રોજ આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ-૬૯ ઉમેદવારો મેદાનમાં હતા. તા.૮મી ડીસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી જેમાં ચૂંટણી પંચના નિયમોનુસાર ભાજપ, કોંગ્રેસ તથા એનસીપી સિવાયના અન્ય પક્ષના તેમજ અપક્ષ ઉમેદવારો મળી કુલ-૫૫ ઉમેદવારો નિયમ મુજબના માર્જીનના મત મેળવી ન શકતા તેઓની ડીપોઝીટ ડુલ થવા પામી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વર્ષ-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ એનસીપી સિવાયના અન્ય પક્ષ તથા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પંચના નિયમ મુજબ ઓછા મત મળવાના કારણે ડીપોઝીટ ગુમાવી હતી ત્યારે વર્ષ-૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ સહિતના અન્ય પક્ષ તથા અપક્ષ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક અપક્ષ ઉમેદવારોને તો તેમના જ વિસ્તારમાંથી માત્ર ગણતરીના જ મતો મળતા નાટકીય ધબડકો થતા હાસ્યનું પાત્ર બન્યા હોવાનું પણ ચિત્ર જોવા મળી રહ્યું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકીય ગતિવિધીઓ તેજ થઈ હતી અને આમ આદમી પાર્ટી આણંદ જિલ્લામાં એકાદ સીટ કાઢશે તેવી ચર્ચાઓ ઉઠી હતી પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ નબળો દેખાવ કરતા તમામ સાત બેઠકો ઉપરના ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિ ઉમેદવારી કરે તો તેને ચૂંટણી પંચના નિયમ મુજબ ડીપોઝીટ તરીકે રૂા.૧૦ હજાર ભરવા પડે છે. જ્યારે એસ.સી. એસ.ટી. વર્ગના ઉમેદવારોએ પચાસ ટકા રકમ એટલે કે રૂા.૫ હજાર ડીપોઝીટ તરીકે ભરવા પડે છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર જો ઉમેદવાર કુલ મતદાનના ૧૬.૬ ટકા મત મેળવે તો તે ડીપોઝીટ પરત મેળવવા હકદાર ગણાય છે.
બેઠક વાઈઝ આપ પાર્ટીએ મેળવેલ મત
બેઠક |
મત |
ટકાવારી |
|
ખંભાત |
૨૫૧૪ |
૧.૫૮ |
|
બોરસદ |
૨૦૦૩ |
૧.૧ |
|
આંકલાવ |
૧૬૦૩ |
૦.૯૬ |
|
ઉમરેઠ |
૩૭૦૮ |
૧.૯૯ |
|
આણંદ |
૫૦૭૧ |
૨.૬૧ |
|
પેટલાદ |
૪૫૯૬ |
૨.૭ |
|
સોજિત્રા |
૩૪૬૦ |
૨.૨૪ |
|