ટ્રેડવોરનો લાભ કોને? .
Updated: Apr 14th, 2024
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને ઈ. સ. ૨૦૨૪ સુધી વેપારના કદમાં વૃદ્ધિ માટે તેના અનુમાનોમાં સુધારો કર્યો છે. તેણે તેને ગત ઓક્ટોબરમાં ૩.૩ ટકા જાહેર કર્યા બાદ હવે ઘટાડીને ૨.૬ ટકા કર્યો છે. જ્યારે વૈશ્વિક વેપારમાં ધીમી વૃદ્ધિ સંભાવનાઓ પર ભાર મૂક્યો છે ત્યારે ભારતે ઉભરતા દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વેપાર યુદ્ધની સ્થિતિ છે. ઓછામાં ઓછા છેલ્લા પાંચ વર્ષથી આવું થઈ રહ્યું છે. અમેરિકા દ્વારા જુલાઈ અને ઓગસ્ટ ૨૦૧૮માં પસંદગીની ચીની ચીજવસ્તુઓની આયાત પર ૨૫ ટકા ડયૂટી લગાવીને આની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને સર્વસામાન્ય ઉપભોક્તાઓ માટેના માલ પર પછીના વર્ષે વધુ ફી લાદવામાં આવી હતી.
એકંદરે, આશરે ૩૫૦ બિલિયન ડોલરની આયાતને અસર થઈ હતી. પરંતુ આવા ટેરિફની અસર ગ્રાહક ભાવો પર પડશે તે જોતાં, તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયોજિત ટેરિફ વધારો અટકાવ્યો હતો. આવી સ્થિતિમાં જો આપણે લેપટોપ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર મોનિટર, મોબાઈલ ફોન, વિડીયો ગેમ કન્સોલ અને રમકડાં વિશે વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૧૯માં તેના પરની ડયુટી વધારવાની યોજના હોવા છતાં તે ઊંચી આયાત ડયુટીના દાયરામાં આવતા નથી. ભારત સરકાર અમેરિકા જેવા પગલા લઈ શકી નથી એનું એક વાજબી કારણ એ છે કે ભારત ટ્રેડવોરમાં સીધું જ અમેરિકાની પડખે ચડે નહિ. જો કે ભારત દ્વારા ઘણા માલ ક્યારેય ઉચ્ચ ડયુટીના દાયરામાં આવ્યા નથી, આ માલની સપ્લાય ચેઇન બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ચીનમાંથી મોબાઈલ ફોનની આયાત ૧૦ થી ૧૫ ટકાના દરે વધી રહી છે, જ્યારે બાકીની દુનિયામાંથી આયાત ૭૦ ટકા સુધી વધી છે.
ભારત માટે સંબંધિત બાબત એ છે કે જોખમ દૂર કરવાની આ પ્રક્રિયામાં આપણે પ્રમાણમાં યુવાન છીએ. ઈન્ડસ્ટ્રી ગુ્રપ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલો દર્શાવે છે કે ભારતની નિકાસમાં વધારો થયો છે પરંતુ ટ્રેડવોર પછીની આ વેપાર પુનઃરચનાનો મોટો હિસ્સો વિયેતનામ જેવા દેશોને મળ્યો છે. નવીનતમ આંકડા દર્શાવે છે કે વિયેતનામની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ઈ. સ. ૨૦૧૮માં ૧૨.૧ બિલિયન ડોલર હતી જે વધીને ઈ. સ. ૨૦૨૩માં ૫૧.૨ બિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન આપણી નિકાસ ૧.૩ બિલિયન ડોલરથી વધીને માત્ર ૮.૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. આ કુલ બિન-ચીની આયાતના માત્ર ૫.૫ ટકા છે. અમેરિકાને સપ્લાય કરતી કંપનીઓ સ્વેચ્છાએ તેમના ઘટકોમાં ચીની વસ્તુઓનો ઉપયોગ ઘટાડી રહી છે.
પુરવઠા શૃંખલામાં ચીનને બદલવામાં અન્ય દેશો ભારત કરતાં વધુ સારી કામગીરી કરી રહ્યા છે. પ્રથમ, જો તેમની પાસે નીચા અને સ્થિર ફી દરો સાથે ટ્રેડિંગ વ્યવસ્થા હોય. સ્વાભાવિક રીતે, આનાથી મેક્સિકો જેવા દેશોને ફાયદો થાય છે જેમની પાસે પહેલેથી જ વેપાર કરાર છે. તેનાથી વિયેતનામ જેવા દેશોને પણ ફાયદો થાય છે જેમણે નીચા ટેરિફ દરની વેપાર નીતિ અપનાવી છે. કંપનીઓ દર ફેરફારો અથવા નિયંત્રણોથી પ્રભાવિત થવા ચાહતી નથી. જોકે, ભારતે સ્થાનિક ઉત્પાદનમાં વધારાને ધ્યાનમાં રાખીને ડયૂટીમાં વધારો કર્યો છે. બીજું કારણ વ્યાપક બિઝનેસ વાતાવરણ છે. એપલ અને તેના માટે કામ કરતી કંપનીઓને આકર્ષવામાં ભારત સફળ રહ્યું છે. ઈ. સ. ૨૦૧૮થી ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાત ગણો વધારો થયો છે, જેને આ સાથે જોડી શકાય છે. પરંતુ તેમની વ્યવસાય તરફી નીતિઓ સાથે અન્ય દેશોએ સારું પ્રદર્શન કર્યું છે.
ઉદાહરણ તરીકે, સેમસંગ અને એલજી બંનેએ તેમના વિશાળ ઉત્પાદન યુનિટોને સ્થાનાંતરિત કરવા માટે વિયેતનામ પસંદ કર્યું. સેમસંગ વિયેતનામથી ૧૨૩ દેશોમાં જ્યારે ભારતમાંથી માત્ર બે ડઝન દેશોમાં નિકાસ કરે છે. અમેરિકાના કારણે ચીનથી દૂર રહેતી કંપનીઓનો લાભ લેવાની ભારત માટે અહીં તક છે. પરંતુ જેમ જેમ ભારતના હરીફ દેશોમાં રોકાણ સફળ થશે તેમ તેમ ભારત માટેની તકો મર્યાદિત થશે. ભારતમાં ચીનના ઉત્પાદનો લોકો એક તરફ બહુ ઉત્સાહથી સ્વીકારે છે અને બીજી બાજુ ભારતના બુદ્ધિજીવીઓ ચીનના ઉત્પાદનના બહિષ્કારની વાતો કરે છે આજે પરિસ્થિતિ એવી છે કે ભારતના ભાગ્યે જ કોઈ ઘરે હશે જેમાં છાને પગલે ચીની ઉત્પાદનો પ્રવેશી ગયા ન હોય. દેશના રાષ્ટ્રીય વ્યક્તિત્વની અહીં વિરોધાભાસી છબી ઉપસે છે નાગરિકો એના વ્યક્તિગત જીવનમાં જેની ઉત્પાદનો અને ચાહે છે અને સામૂહિક જીવનમાં વિરોધ કરે છે - આ વિસંગતતા ક્યારેય નિવારી શકાશે તે મોટો પ્રશ્ન છે.