BIG BREAKING: ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
T raja Singh Resigned From BJP: વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રચલિત તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહ ઉર્ફ ટાઈગર રાજાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાજ્યમાં પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં ન આવતાં ટી રાજા સિંહે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે રાજીનામાંનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શન લખી હતી કે, મૌનને સહમતિ સમજવી નહીં. હું માત્ર મારા માટે નહીં. પરંતુ એવા અસંખ્ય કાર્યકરો અને મતદારો વિશે બોલી રહ્યો છું, જેઓ અમારા પર વિશ્વાસ ધરાવે છે. તેઓ અમારી સાથે ઉભા હતાં અને આજે નિરાશ થયા છે.
હાઈકમાન્ડને કરી હતી અપીલ
ગોશામહલના ધારાસભ્યે ભાજપના હાઈકમાન્ડને થોડા દિવસ પહેલાં જ એક વીડિયો મેસેજ મારફત પ્રદેશ પ્રમુખ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પક્ષના અનેક કાર્યકરો મને ફોન કરીને પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા અપીલ કરી રહ્યા છે. તેથી હું પક્ષના હાઈકમાન્ડને અરજ કરી રહ્યો છું કે, તેઓ મને આ પદ સોંપે. હું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની અંદર એક સમર્પિત ગોરક્ષા વિંગની સ્થાપના કરીશ. ગોરક્ષા માટે કામ કરતાં કાર્યકારોની ઢાલ બનીશ. ભાજપનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડીશ. પક્ષની ઓળખ એક હિન્દુત્વ સંગઠનના રૂપે સ્થાપિત કરવા પર પણ ભાર મૂકીશ.
રામચંદ્ર રાવને પ્રદેશ પ્રમુખ બનાવવાની શક્યતા
રાજકીય સૂત્રો અનુસાર, પૂર્વ વિધાન પરિષદ એન. રામચંદ્ર રાવને તેલંગાણા રાજ્યના પ્રદેશ પ્રમુખ બનાવવાની અટકળો છે. જેના લીધે પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય ટી. રાજા સિંહ નારાજ થયા છે. કારણકે, તેઓ પ્રદેશ પ્રમુખ બનવા માગતાં હતા. તેલંગાણાના પ્રદેશ પ્રમુખ જી. કિશન રેડ્ડીને સંબોધતા સિંહે નિવેદન આપ્યું હતું કે, રાવને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય ફક્ત મારા માટે જ નહીં, પરંતુ લાખો કાર્યકરો, નેતાઓ અને મતદારો માટે આઘાત અને નિરાશાજનક છે.
નેતાઓ પર ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ
રાજા સિંહે આંતરિક વિખવાદ અંગે જણાવ્યું હતું કે, પક્ષમાં અમુક નેતાઓ અંગત સ્વાર્થ માટે કેન્દ્રીય હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પડદાની પાછળ રહી તેઓ પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. તેલંગાણામાં એવા કેટલાય વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો છે, જે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકે છે. પરંતુ અમુક લોકોના સ્વાર્થના કારણે હાઈકમાન્ડ ગેરમાર્ગે દોરાયું છે.