'કોગ્રેસને મુસ્લિમ મત જોઈએ પણ ઉમેદવાર નહીં..' પક્ષથી નારાજ પદાધિકારીએ 'હાથ'નો સાથ છોડ્યો
Updated: Apr 27th, 2024
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન મળતા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાની નારાજગી સામે આવી છે. મહારાષ્ટ્રમાં કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ ન આપવા પર મોહમ્મદ આરિફ નસીમ ખાને નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસની પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું કે, 'હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરું કારણ કે વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) જૂથે કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.'
મોહમ્મદ આરિફ નસીમ ખાને નારાજગી વ્યક્ત કરી
મોહમ્મદ આરિફ નસીમ ખાને પત્રમાં લખ્યું કે, ' મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી એમવીએએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. મહારાષ્ટ્રભરના ઘણાં મુસ્લિમ સંગઠનો, નેતાઓ અને પાર્ટીના કાર્યકરો આશા રાખતા હતા કે કોંગ્રેસ લઘુમતી સમુદાયમાંથી ઓછામાં ઓછા એક ઉમેદવારને નિયુક્ત કરશે, પરંતુ કમનસીબે એવું બન્યું નહીં. કોંગ્રેસને મુસ્લિમ મતોની જરૂર છે, પણ ઉમેદવારો નહીં. આ તમામ કારણોસર હું મુસ્લિમોનો સામનો કરી શકીશ નહીં અને મારી પાસે કોઈ જવાબ નથી. જેથી હું મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપી રહ્યો છું.
મહારાષ્ટમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડી રહી છે
મોહમ્મદ આરિફ નસીમ ખાને કોંગ્રેસ અધ્યક્ષને તેમના રાજીનામાની સાથે મુકુલ વાસનિક, રમેશ ચેન્નીથલા, નાના પટોલે અને પૃથ્વીરાજ ચવ્હાણને રાજીનામું મોકલ્યું છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની બેઠક સમજૂતી હેઠળ શિવસેના (ઉદ્ધવ) 21 બેઠક, કોંગ્રેસ 17 બેઠક અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) 10 બેઠક પર ચૂંટણી લડી રહી છે.