ભાજપે રાયબરેલીમાં દિનેશ પ્રતાપ સિંહનું પત્તું કેમ ખેલ્યું, શું તેઓ ગાંધી પરિવાર પાસેથી આ બેઠક છીનવી શકશે?
Updated: May 2nd, 2024
Image Twitter |
Lok Sabha Elections 2024 : રાયબરેલી સંસદીય સીટ પરથી ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. 2019માં સોનિયા ગાંધીને જોરદાર ટક્કર આપનાર દિનેશ પ્રતાપ સિંહ પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. દિનેશ પ્રતાપ સિંહ હાલમાં MLC છે, અને યોગી સરકારમાં મંત્રી પણ છે. 6 વર્ષ પહેલા સુધી દિનેશ પ્રતાપ સિંહ ગાંધી પરિવારના ખૂબ જ ખાસ લોકોમાં સામેલ હતા. એ પછી વર્ષ 2018માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આવતીકાલે શુક્રવારે રાયબરેલી સીટ માટે નામાંકનનો છેલ્લો દિવસ છે.
કોંગ્રેસે હજુ સુધી આ બેઠક માટે પોતાના ઉમેદવાર વિશે જાહેરાત કરી નથી. પરંતુ એવી ધારણા છે કે, આજ રાત કે આવતીકાલ સવાર સુધીમાં કોંગ્રેસ પણ તેમના ઉમેદવારની જાહેરાત કરી દેશે. કોંગ્રેસ નેતાઓ જે રીતે સસ્પેન્સ જાળવી રહ્યા છે, તેને જોતા લાગે છે કે કોંગ્રેસ ગાંધી પરિવારના કોઈ સભ્યને જ રાયબરેલીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે દિનેશ પ્રતાપ સિંહના નામની જાહેરાત કરી છે, પરંતુ શું તેઓ ભાજપની ઈચ્છા પૂરી કરી શકશે? જે રીતે ભાજપે અમેઠીમાંથી રાહુલ ગાંધીને હાંકી કાઢ્યા છે, તેવી જ રીતે તે રાયબરેલીને ગાંધી પરિવાર પાસેથી છીનવી લેવા માંગે છે. શું દિનેશ પ્રતાપ સિંહ ભાજપની અપેક્ષાઓ પર ખરા ઉતરશે કે તે જોવાનું રહ્યું...
દિનેશ પ્રતાપ સિંહ ભાજપના અમેઠી મોડ્યુલ પર ફીટ
ભારતીય જનતા પાર્ટી રાયબરેલીની બેઠક જીતવા માટે અમેઠી મોડ્યુલ પર કામ કરી રહી છે. જે રીતે સ્મૃતિ ઈરાનીએ 2014માં હાર્યા બાદ પણ સતત અમેઠી પર જ લાગેલા રહ્યા અને આખરે 2019માં રાહુલ પાસેથી આ સંસદીય બેઠક છીનવી લીધી હતી. દિનેશ પ્રતાપ સિંહ પણ રાયબરેલીમાં આ જ તર્જ પર કામ કરી રહ્યા છે. દિનેશ પ્રતાપ સિંહે 2019માં સોનિયા ગાંધીને જોરદાર ટક્કર આપી હતી. 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી લગભગ 72.2 ટકા હતી. આ આંકડો વર્ષ 2014માં ઘટીને 63.8 ટકા પર આવી ગયો હતો.
આ બધું એ જ વ્યૂહરચના હેઠળ કરવામાં આવ્યું હતું
2019 માં દિનેશ પ્રતાપ સિંહ ઉમેદવાર બન્યા પછી સોનિયા ગાંધીને મળેલા મતોની ટકાવારી ઘટીને 55.8 ટકા થઈ ગઈ. 2014માં જ્યાં ભાજપને માત્ર 21.1 ટકા મત મળ્યા હતા, ત્યાં દિનેશ પ્રતાપ સિંહના આવ્યા પછી 2019માં તે 38.7 ટકા પર પહોંચી ગયા હતા. જે બાદ ભાજપે તેમને MLC બનાવીને વિધાનસભામાં મોકલ્યા અને યોગી સરકારમાં તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું. આ બધું એ જ વ્યૂહરચના હેઠળ કરવામાં આવ્યું હતું, કે તે સતત 5 વર્ષ સુધી જનતાની વચ્ચે રહે અને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરે. જે રીતે સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ચૂંટણી હાર્યા પછી પણ 5 વર્ષ અમેઠીના લોકો સાથે સમય પસાર કર્યો હતો.
દિનેશ પ્રતાપ સ્થાનિક સ્તરે ખૂબ જ મજબૂત
દિનેશ પ્રતાપ સિંહ સ્થાનિક લેવલે ખૂબ જ મજબૂત છે અને તે રાયબરેલીની અંદર અને બહારની દરેક બાબતોને સમજે છે. આ જ કારણ હતું કે, તેઓ સોનિયા ગાંધીની ખૂબ નજીક હતા. ગાંધી પરિવાર તેમની સલાહ પર જ કામ કરતો રહ્યો છે. દિનેશ પ્રતાપ સિંહના પાંચ ભાઈઓ છે, જેમાંથી ત્રણ રાજકારણમાં સક્રિય છે. તેમના ભાઈ રાકેશ સિંહ પણ કોંગ્રેસની ટિકિટ પર 2017માં હરચંદપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બીજા ભાઈ અવધેશ સિંહ રાયબરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. દિનેશસિંહના નિવાસસ્થાન પંચવટી પરથી સમગ્ર જિલ્લાનું રાજકારણ રમાય છે. રાયબરેલીમાં ગાંધી પરિવાર માટે માત્ર દિનેશ પ્રતાપ સિંહ અને અખિલેશ સિંહ જેવા લોકો જ રહ્યા છે. ક્યારેક અખિલેશ સિંહની વાત રાયબરેલીમાં પણ થતી હતી. તેમના મૃત્યુ બાદ હવે તેમની પુત્રી અદિતિ સિંહ ભાજપમાં જોડાઈ ગઈ છે. અદિતિ સિંહ ધારાસભ્ય છે અને ભાજપ સાથે મજબૂત રીતે જોડાયેલા છે.