For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદના યુવાનનો સયાજીગંજની હોટલમાં ફાંસો ખાઇને આપઘાત

Updated: May 8th, 2024

અમદાવાદના યુવાનનો સયાજીગંજની હોટલમાં ફાંસો ખાઇને આપઘાત

- અંતિમ ચિઠ્ઠીમાં માતા - પિતાની માફી માંગી તમામ પરિવારજનોના કોન્ટેક્ટ નંબરો લખ્યા હતા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા : સયાજીગંજ વિસ્તારના હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને હોટલની રૂમની બારી પર દોરડા વડે લટકી જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને  અંતિમ ચિઠ્ઠીમાં આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી પોતાના માથે કોઇ દેવું નહીં હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ સરદાર નગર રમેશ દત્ત કોલોનીમાં રહેતા હેમંત નારાયણપુરી ગોસ્વામી ( ઉં.વ.૩૯) ત્રણ દિવસ પહેલા  સયાજીગંજ અપ્સરા હોટલના રૂમ નંબર - ૭ માં રોકાયો હતો. સવારે રૂમ સર્વિસ બોય આવ્યો હતો. 

તેણે બારણું ખખડાવ્યું  પણ હેમંતે દરવાજો ખોલ્યો નહતો. રૂમ સર્વિસ બોયને લાગ્યું કે, હેમંત મોડી રાત સુધી જાગતો હતો. જેથી, તે ઊંઘતો  હશે.  હેમંતને ડિસ્ટર્બ નહીં કરવાનું વિચારી તે જતો રહ્યો હતો. પરંતુ, સાંજ સુધી રૂમમાંથી કોઇ હિલચાલ નહીં  જણાતા હોટલના સ્ટાફે બારીમાંથી જોયું તો  હેમંતે રૂમની બારીના સળિયા સાથે દોરડું બાંધીને ફાંસો  ખાઇ લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. પાટિલે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા હેમંતના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પત્ની, પુત્રના નામ અને નંબર લખ્યા હતા.તેણે આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, મારા પર કોઇ દેવું નથી. આ પગલું ભરવા પાછળ કોઇનો હાથ નથી. મને માફ કરજો. તેણે પોતાના પરિવારના તમામ સભ્યોના નામ અને નંબરો લખ્યા હતા.

જેના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ વડોદરા આવી  પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે,  હેમંત પાસે છેલ્લા કેટલાક સમયથી કોઇ કામ ધંધો નહતો.

Gujarat