બે દિવસ પછી મોકૂફ રખાયેલા કાંકરિયા કાર્નિવલના બાકીના પાંચ દિવસનું ૫૦ ટકા પેમેન્ટ કરવા પેરવી
રદ થયેલા કાર્યક્રમ માટે ચૂકવણું કરવાનો રિપોર્ટ મ્યુનિ.કમિશનર સમક્ષ મુકાયો
અમદાવાદ,સોમવાર,17 માર્ચ,2025
દર વર્ષે કાંકરિયા ખાતે યોજાતો કાર્નિવલ ૨૦૨૪માં ૨૫ થી ૩૧
ડિસેમ્બરને બદલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને લઈ માત્ર બે દિવસ ચાલ્યો
હતો.બે દિવસ પછી મોકૂફ રખાયેલા કાર્નિવલના કાર્યક્રમ પેટે બે દિવસનુ પુરુ પેમેન્ટ
તથા બાકીના પાંચ દિવસનું ૫૦ ટકા સુધીનુ પેમેન્ટ કરવાની ત્રણ અધિકારીઓની કમિટી
દ્વારા ભલામણ કરાઈ છે.અંદાજે એકથી સવા કરોડ રુપિયા જેટલી રકમ ચૂકવવાની થતી હોવાથી આ અંગે મ્યુનિ.કમિશનર
સમક્ષ રિપોર્ટ મુકાયો છે.
કાંકરિયા કાર્નિવલ માટે મ્યુનિ.તંત્ર દ્વારા રંગારંગ
કાર્યક્રમ માટે કેટલીક નોડલ એજન્સીઓને
સમગ્ર કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી હતી.પહેલા દિવસે ઉદ્દઘાટન
કાર્યક્રમમાં ડ્રોન શો સહિતના કાર્યક્રમ યોજાયા હતા.બીજા દિવસે નિર્ધારીત
કાર્યક્રમ પછી કાર્નિવલ પૂર્વ વડાપ્રધાનના નિધનના કારણે રાષ્ટ્રીય શોક જાહેર કરાતા
મોકૂફ રખાયો હતો.કાર્યક્રમ યોજાયા ના હોય છતાં કયા કારણથી કોન્ટ્રાકટરોને નાણાં
ચૂકવવા એ વિવાદને લઈ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની એક કમિટીની રચના કરાઈ
હતી.આધારભૂત સૂત્રોમાંથી મળતી કમિટીની બેઠક થયા પહેલા જ એક રિપોર્ટ તૈયાર કરી
દેવાયો હતો.જેમાં બે દિવસ માટે ૧૦૦ ટકા પેમેન્ટ કરવા તથા બાકીના પાંચ દિવસ માટે ૫૦
ટકા પેમેન્ટ કરવા નિર્ણય લેવાયો હતો.આ રીપોર્ટ હાલ મ્યુનિસિપલ કમિશનરની વિચારણા
હેઠળ છે.