વડાપ્રધાન મોદીની જામનગરની મુલાકાતના રિહર્સલ સમયે બેદરકારી, સુરતના ડીસીપીને નોટિસ
Updated: May 3rd, 2024
Lok Sabha Elections 2024: જામનગરમાં ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઇ હતી, જે અંતર્ગત પહેલી તારીખે જામનગરના એરપોર્ટથી ખોડિયાર કોલોની માર્ગે રિહર્ષલ કરવામાં આવ્યું હતું, ત્યારે તે રિહર્ષલ દરમિયાનની ફરજમાં બેદરકારી સામે આવી હતી, અને તે વિભાગના ઇન્ચાર્જ સુરતના ડીસીપીને નોટિસ પાઠવવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
જામનગરમાં સુપર વિઝનની જવાબદારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમને સોંપવામાં આવી હતી, અને પહેલી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ અને એરપોર્ટથી સંતોષી માતાના મંદિર સુધીના રોડ પર બંદોબસ્તના સુપરવાઇઝરની જવાબદારી સુરતના ડીસીપીને સોંપાઇ હતી, જે અંતર્ગત પહેલી મેંના દિવસે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવતાં રિહર્ષલ સમયે તૈયારીઓ યોગ્ય ન હતી, તેમજ સમગ્ર તૈયારીનું સુપરવિઝન પણ યોગ્ય રીતે થયું ન હતું.
જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરીકેડ પણ લગાવાયેલા ન હતા. અને ડીપ પોઇન્ટ પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસ સ્ટાફના કર્મચારીઓને બેરીકેડની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા, જયારે નિયમ એવો છે કે 70 ટકા સ્ટાફ બેરીકેડની અંદર અને 30 ટકા સ્ટાફ બહાર રાખવો જોઈએ, પરંતુ અધિકારી દ્વારા તે પ્રકારેનું સુપરવિઝન કરાયું ન હતું. જેથી રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમને નોટિસ પાઠવી છે. જેને લઈને પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.