અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલી ધાતરવડી નદીમાં ન્હાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જવાની ગમખ્વાર ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં મંગળવારે (28 ઓક્ટોબર) ડૂબેલા ચાર યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ અમરેલી ફાયર વિભાગે શોધી કાઢ્યો છે, જ્યારે અન્ય ત્રણ યુવકો હજુ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ હવે ડિજિટલ સહીવાળા જન્મ-મરણ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે
એક યુવકનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, મંગળવારે (28 ઓક્ટોબર) માછલી પકડવા ગયેલા રાજુલાના બર્બટાણા ગામના આ ચાર યુવકો ધાતરવડી નદીમાં ડૂબી ગયા હતા. અમરેલી ફાયર વિભાગ દ્વારા રાતભર અને સવારથી ચાલી રહેલી સઘન શોધખોળ બાદ મેરામભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. જોકે, અન્ય ત્રણ યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ડૂબેલા યુવાનોની ઓળખ
પ્રાથમિક માહિતી અનુસાર, ડૂબેલા યુવાનોની ઓળખ બર્બટાણા ગામના રહેવાસી તરીકે થઈ છે. મેરામ પરમારનો મૃતદેહ મળી ગયો છે. પરંતુ, રેસ્ક્યુ ટીમ હજુ સુધી કાના પરમાર, ભરત પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી શકી નથી.
આ પણ વાંચોઃ AMC ચૂંટણી: OBC બેઠકો 19થી વધીને 52 જ્યારે સામાન્ય 76થી ઘટીને 59 થશે, મૂરતિયાઓમાં થનગનાટ
તંત્ર અને રાજકીય આગેવાનો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ, કોસ્ટગાર્ડની ટીમ અને મામલતદાર સહિતનો વહીવટી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું હતું કે, ચાર યુવાનો ડૂબ્યાની માહિતી મળતા જ બચાવ કામગીરી હાથ ધરાઈ છે અને કોસ્ટગાર્ડ તેમજ અન્ય ટીમોને બોલાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે પોતે નદીના પાણીમાં ઉતર્યા હતા.
હાલ ધાતરવડી નદીના પ્રવાહમાં અમરેલી ફાયર ટીમ અને NDRF (National Disaster Response Force)ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ગુમ થયેલા અન્ય ત્રણ યુવકોની શોધખોળ માટે પ્રયાસ કરી રહી છે.

