Get The App

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કરાશે પ્રયાસ

Updated: Jun 25th, 2026

GS TEAM

Google News
Google News
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કરાશે પ્રયાસ 1 - image


Ahmedabad Municipal Corporation News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કમિટીઓના સભ્યોની આજે (25મી જૂન) બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડની બેઠક અને બપોર પછી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી સંભાવના છે. આજના દિવસે મુખ્યત્વે રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિતની 11 જેટલી મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થશે. પરંપરા મુજબ, આ નામોની યાદીમાં પ્રથમ બે ક્રમે આવતા કોર્પોરેટરોને અનુક્રમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનનો હોદ્દો સોંપવામાં આવે છે. આ સાથે જ અગાઉના કોર્પોરેટરોને સ્થાન આપીને AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોના નામો પર પણ મહોર લગાવવામાં આવશે.

ચેરમેન પદ માટે આ નામો રેસમાં મોખરે

નવી રચાનારી કમિટીઓમાં ઉચ્ચ હોદ્દાઓ માટે અનેક નામો ચર્ચામાં છે, જેમાં વિશેષ કરીને વોટર અને રોડ કમિટી માટે ધરમશી દેસાઈ તેમજ પરેશ લાખાણી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પક્ષ દ્વારા નવી ચૂંટાયેલી મહિલા કોર્પોરેટરોને પણ મહત્ત્વની જવાબદારીઓ સોંપીને ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન પદે પ્રમોટ કરવામાં આવે તેવી શક્યતા છે. 11 પેટા કમિટીઓ ઉપરાંત, વાડીલાલ સારાભાઈ (વી.એસ.) જનરલ હોસ્પિટલ બોર્ડમાં પાંચ અને વેટરનિટી હોસ્પિટલ માટે બે સભ્યોની નિમણૂક પણ આજના જ દિવસે કરાશે. ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો જાહેર થયા બાદ તાત્કાલિક તેની પ્રથમ બેઠક બોલાવીને ચેરમેનની પણ વરણી કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર

હાલના માળખામાં કેટલાક ઓબીસી કોર્પોરેટરોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાની વ્યાપક ચર્ચાઓને પગલે, પક્ષ દ્વારા નવી કમિટીઓમાં સિનિયર કોર્પોરેટરોને સમાવીને સંતોષ આપવાનો પ્રયાસ થઈ શકે છે. આજની સામાન્ય સભામાં જાહેર થનારી તમામ કમિટીઓમાં જાતિ, વર્ગ અને ઝોન જેવા રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને સત્તાનું સંતુલન જાળવવાનો સઘન પ્રયાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવશે.