અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા કેસમાં ફસાવી જેલમાં ધકેલી દેવાયા : પત્ની સુનિતા
Updated: May 3rd, 2024
દિલ્હીના મુખ્યમંત્રીના પત્નીએ બોટાદમાં રોડ શો યોજ્યો
૧૦ વર્ષ તપાસ ચાલશે તો ૧૦ વર્ષ જેલમાં રખાશે?ઃ પત્નીનો વેધક સવાલ
બોટાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે બોટાદમાં આપના ઉમેદવારના સમર્થનમાં કરેલાં રોડ શો દરમિયાન ભાજપ પ્રહાર કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જબરદસ્તીથી જુઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હજુસુધી કોઈ કોર્ટે તેમને દોષી સાબિત કર્યા નથી. છતાં તપાસના બ્હાના હેઠળ તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. તપાસ ૧૦ વર્ષ સુધી ચાલશે તો તેમને ૧૦ વર્ષ જેલમાં રાખવામાં આવશે તેવો તેમણે વેધક સવાલ કર્યો હતો.
ભાવનગર લોકસભા બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નીએ બોટાદ શહેરમાં રોડ શો યોજ્યો હતો. તેમણે રોડ શો દરમિયાન લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા દિલ્હીના મુખ્યમંત્રીની જેમ ગુજરાતમાં પણ થોડા સમય પૂર્વે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીનેે ખોટા કેસમાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપનું નામ લીધા વગર આ સરેઆમ તાનાશાહી હોવાનું જણાવ્યું હતું. તેમણે રોડ શોમાં હાજર મેદનીને એવો પણ સવાલ કર્યો હતો કે, કેજરીવાલે કયું ખોટું કામ કર્યું છે? સાથે જ તેમણે દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે કરેલા કામોને ગણાવ્યા હતા. તેમની સાથ આપના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક સહિત ગુજરાતના પ્રદેશ નેતાઓ જોડાયા હતા.