અપરાધીઓનું સ્વર્ગ છે કેનેડા
Updated: May 2nd, 2024
બ્રિટન અને કેનેડા દુનિયાના બે એવા દેશો છે કે જેનાથી ભારતનું કોઈ પણ સુખ જોઈ શકાતું નથી. બહારથી ભારત સાથેના સંબંધો સારા રાખે છે તે એટલા જ રાખે છે જેટલા રાખવા પડે. એનાથી વિશેષ તો એ ભારતને ગુપ્ત રીતે ધિક્કારે છે. એક રીતે એ ક્રમ સ્વાભાવિક છે, કારણ કે એણે ભારતની દરિદ્રતાનો સાક્ષાત્કાર કરેલો છે. બ્રિટિશ પ્રજાએ ભારતને ગુલામ ભારત તરીકે જોયેલું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો જે દબદબો વધતો જાય છે એનાથી બ્રિટનના પેટમાં તેલ રેડાયું છે. આનો સૌથી સીધો પ્રભાવ કેનેડા પર પણ પડયો છે, કારણ કે કેનેડા પાસે પોતાની કોઈ પણ પ્રકારની રાજનીતિ કે નીતિ નથી. અત્યાર સુધી કેનેડાની સરકાર પોતે સ્વતંત્ર દેશ હોવા છતાં બ્રિટિશ સરકારની પારકી બુદ્ધિ પ્રમાણે ચાલતી રહી છે. બ્રિટનની સલાહ લેવી એ કેનેડિયન સરકાર માટે જાણે કે એક બંધારણીય અધિકાર છે. એને કારણે બ્રિટનના ઈશારા ઉપર પોતાના ઘર આંગણે ભારત-વિરોધી ખાલિસ્તાની ચળવળ ચલાવનાર લોકોને કેનેડાએ મામાનું ઘર હોય એમ મુક્ત વાતાવરણ આપ્યું છે.
ખાલિસ્તાનને પ્રોત્સાહન આપનારાં તમામ પરિબળોને કેનેડાના વડાપ્રધાને પોતાના ખોળે બેસાડેલાં છે. હવે તો ખાલિસ્તાનવાદીઓની સંપૂર્ણ સુરક્ષા અને ભવિષ્યમાં એ ચળવળને આગળ વધારવા માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવાના હોય એ રીતે હવે જાહેર સમારંભોમાં એના વડાપ્રધાન પ્રસ્તુત થવા લાગ્યા છે. કેનેડા ખરેખર તો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોના ઉપકારતળે છે. સ્થાનિક પ્રજા ભારતીયોને હવે ધિક્કારવા લાગી છે. કેનેડા જવામાં કે ત્યાં સેટ થવામાં હવે જોખમ છે, કારણ કે સરકાર ખુદ વારંવાર ભારત વિરોધી અભિગમ અપનાવે છે. ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થવાના બનાવો કેનેડામાં નિયમિત રીતે બને છે. એટલે હવે આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં ભારતીય વિદ્યાર્થીઓ, જો તેમને પસંદગીના દેશમાં જવા ન મળે તો ઓસ્ટ્રેલિયા અથવા ન્યુઝીલેન્ડ જવા લાગ્યા છે. ન્યુઝીલેન્ડ જનારા લોકોની સંખ્યા બહુ વધુ છે.
થોડા દિવસો પહેલાં કેનેડામાં આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં જે રીતે ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેના પર ભારતને ચિંતા થવી સ્વાભાવિક છે. વિદેશ મંત્રાલયે કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવીને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખાલસા દિવસ નિમિત્તે આયોજિત એ કાર્યક્રમમાં માત્ર ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર જ નહીં, પરંતુ બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય નેતાઓને નિજ્જરના હત્યારા તરીકે વર્ણવવામાં આવ્યા હતા. અફસોસ અને ચિંતાની વાત છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ત્યાં હાજર હોવા છતાં આ બધું રોકવાનો કે ખાલિસ્તાનીઓને ખોટા જાહેર કરવાનો કોઈ પ્રયાસ જોવા મળ્યો નહીં.
આ સમગ્ર મામલે ટ્રુડોનું વર્તન રાજદ્વારી ધોરણે બિલકુલ બંધબેસતું નથી. જો કે બંને દેશો વચ્ચેના સંબંધો એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેમની વચ્ચે વિશ્વાસ, પરસ્પર સહયોગ અને વાતચીતનો અભાવ છે, તો તે કારણ વગર નથી. ગયા વર્ષે, ટ્રુડોએ પોતે જાહેરમાં નિજ્જર હત્યાકાંડમાં ભારતની સંડોવણીના પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. ભારતની ડિમાન્ડ છતાં, તેની સરકાર આજ સુધી આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવા આપી શકી નથી. ભારત વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદી અને ઉગ્રવાદી વલણોને પ્રોત્સાહન આપવું એ માત્ર બંને દેશો વચ્ચેના સંબંધો માટે જ નહીં, પણ કેનેડા માટે પણ જોખમી છે. કેનેડામાં આ તત્ત્વોને જે પ્રકારની ખુલ્લી જગ્યા આપવામાં આવી છે તે વોટ બેંકની રાજનીતિને કારણે છે. પરંતુ લાંબા ગાળે આ દરેક માટે નુકસાનકારક સાબિત થવાનું છે.
યુએસમાં ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ જાહેરમાં નિવેદન આપવાને બદલે આ મામલો સરકારી સ્તરે ઉઠાવવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે, ભારતે યુએસ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓને ગંભીરતાથી લીધા. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સારી વાત એ છે કે આ બાબતને બંને દેશોના સંબંધો વચ્ચે આવવા દેવામાં આવી ન હતી. ચોક્કસપણે કેનેડા આ બાબતમાં ખૂબ જ ખરાબ ઉદાહરણ તરીકે બહાર આવ્યું છે, પરંતુ ખાલિસ્તાન તરફી તત્વોની ગતિવિધિઓ અન્ય ઘણા દેશોમાં એક મુદ્દો છે. વહેલા-મોડા, તમામ સંબંધિત દેશોએ સમજવું પડશે કે લોકશાહી અવકાશની આડમાં, અન્ય કોઈ દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓને મંજૂરી આપવી યોગ્ય નથી.