કોઈને ધાક-ધમકી આપવી એ આપઘાત માટે ઉશ્કેરણી ન ગણાય : કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો
પાદરીએ 2019માં આત્મહત્યા કરી હતી
કર્ણાટક હાઇકોર્ટે પાદરીની આત્મહત્યા માટે અન્ય કારણોને જવાબદાર ઠેરવી કેસ રદ કર્યો
Updated: May 5th, 2024
Karnataka High Court news | માત્ર ધાક ધમકી ભર્યા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં તેમ કર્ણાટક હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે. આ કેસ ઉડુપી જિલ્લામાં એક ચર્ચના પાદરીની આત્મહત્યા સાથે સંકળાયેલો છે.
પાદરી અને અરજકર્તાની પત્ની વચ્ચે સંબધો હતાં અને આ મુદ્દે જ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે આ ટિપ્પણી કથિત સંબધોની જાણ થઇ જવા પર વ્યથિત થઇને કરવામાં આવી હતી. પાદરીએ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે અન્ય લોકોને આ સંબધોની જાણ થઇ ગઇ હતી.
બીજા પક્ષના વકીલે જણાવ્યું હતું કે પાદરીએ આત્મહત્યા એટલા માટે કરી કારણ કે આરોપીએ ધમકી આપી હતી કે તે આ સંબધોની જાણ અન્ય લોકોને પણ કરી દેશે. જો કે સિંગલ ન્યાયમૂર્તિની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોના આધારે એ વાત પર ભાર આપ્યો કે ફક્ત આવા નિવેદનોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં. કોર્ટે પાદરીની આત્મહત્યા માટે અનેક કારણોને જવાબદાર ઠેરવ્યા હતાં. જે પૈકીનુિં એક કારણ એ હતું કે એક પિતા અને પાદરી હોવા છતાં તેમના અન્ય સ્ત્રી સાથે સંબધો હતાં. કોર્ટે અરજકર્તા વિરુદ્ધની કાર્યવાહી રદ કરી દીધી હતી અને અરજકર્તાના નિવેદનને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણવાનો ઇનકાર કર્યો હતો.