અંકલેશ્વરમાં ખાલી કેમિકલ ટેન્કરમાં ઉતરેલી વ્યક્તિનું ગુંગળામણથી મોત
Updated: May 5th, 2024
- વ્યક્તિને બચાવવા માટે નીચે ઉતરનાર અન્ય વ્યક્તિને ગંભીર અસર થઇ
ગત રોજ રાત્રે અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલા ગાર્ડન સીટી રોડ પરના માધવપાર્ક પાસે ખાલી ટેન્કરમાં સફાઈ કે અન્ય કોઈ કારણોસર ટેન્કર ચાલક સુનિલકુમાર રાજારામ પાલ ટેન્કમાં તેમાં ઉતર્યો હતો. એકાએક તે તેમાં બેહોશ થતા, પ્રિમાઇસીસના માલિકનો પુત્ર ભાવિન હરીશ્યામ પાલ તેને બચાવવા ટેન્કરમાં ઉતર્યો હતો,પરંતુ તે પણ બહાર ન આવતા અંતે અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરાતા,બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં ચાલકનું મોત નીપજ્યુ હતુ,જયારે ગંભીર હાલતમાં માલિકના પુત્રને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની બહારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી.
આ ટેન્કરમાં કોઈ કેમિકલની તીવ્ર અસરને પગલે ચાલક તેમજ બચાવવા પડેલો યુવક બેભાન થયો હોવાનુ કહેવાય રહ્યુ છે. પોલીસે આ ટેન્કર કઈ કંપનીમાં ખાલી કરાઈ પરત આવ્યુ હતું તે અંગે તથા સમગ્ર ઘટના અંગે હાલ તપાસ હાથ ધરી હતી.