તબાહીનું દ્રશ્ય બની રહ્યું છે ગાઝા : સમગ્ર ગાઝા પટ્ટી જ ખંડ બની ગઈ છે : બેઠાં કરતાં દાયકાઓ લાગશે
Updated: May 5th, 2024
- ગાઝા અંગે યુનોનો હૃદય દ્રાવક અહેવાલ
- ગાઝામાં 80 હજાર મકાનો ખંડેર થઇ ગયાં છે : 85.8 ટકા સ્કૂલો ખતમ થઇ ગઈ છે : 34,000થી વધુ પેલેસ્ટાઇનીઓના જાન ગયા છે
યુનો, નવી દિલ્હી : ઇઝરાયલ હમાસ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. તા. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે હમાસે દક્ષિણ ઇઝરાયલ ઉપર ઓચિંતો હુમલો કરી આશરે ૧,૩૦૦ના જાન લીધા, ૨૫૦ને બંધક બનાવ્યા તે પૈકી મોટાભાગની યુવતીઓને બંધક બનાવી ઉઠાવી પણ ગયા. ત્યારે તેમને ભાગ્યે જ કલ્પના હશે કે સામે કેવા પ્રચંડ વળતા પ્રહારો થશે. હમાસની વાત છોડો દુનિયાના લગભગ કોઈ દેશને અમેરિકા કે યુરોપીય દેશો સહિત કોઈ પણ દેશને કલ્પના પણ નહીં હોય કે ઇઝરાયલ આટલો પ્રચંડ અને મહાવિનાશક હુમલો કરશે.
ગઇકાલે યુનોએ પ્રસિદ્ધ કરેલા ગાઝા પટ્ટી અંગેના અહેવાલમાં જણાવ્યું છે કે સતત સાત મહીનાથી ઇઝરાયલ દ્વારા ચાલી રહેલી બોમ્બ વર્ષાથી લગભગ સમગ્ર ગાઝા શહેર ખંડેર બની ગયું છે, ત્યાં એક પણ મકાન ઊભું નથી. અબજો ડૉલરનું નુકશાન થયું છે. યુએને મેળવેલા ડેટા પ્રમાણે લગભગ ૮૦ હજાર મકાનો ધ્વંસ થઇ ગયાં છે. રીપોર્ટમાં તેમ કહેવાયું છે કે જો આજે જ યુદ્ધ બંધ થાય તો પણ ૨૦૪૦ સુધી ગાઝા બેઠું થઇ શકે તેમ નથી. ૮૫.૯ ટકા સ્કૂલોને નુકશાન થયું છે. જે પૈકી ૭૦ ટકા સ્કૂલો તો ખંડેર થઇ ગઈ છે.
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ના આરબ સ્ટેટસ રીજીયોનલ બ્યુરોના ડીરેકટર અબ્દુલાહ અલ દરબારીને કહ્યું હતું કે પૂર્વ જેરૂસલેમ વેસ્ટ બેન્ક અને ગાઝામાં માનવ વિકાસ સૂચકાંક છેલ્લાં ૨૦ વર્ષથી નીચે ઉતરી રહ્યો હતો તેમાં છેલ્લા સાત મહીનામાં તો તે તદ્દન નીચે ગયો છે. ગરીબોનો આંક ૬૦.૭ ટકા પહોંચ્યો છે. ત્યાંનો મધ્યમ વર્ગ પણ ગરીબીની રેખા તરફ જઇ રહ્યો છે. પૂર્વ જેરૂસલેમ, ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કમાં મધ્યમ વર્ગનો ખૂબ મોટો ભાગ ગરીબી તરફ જઇ રહ્યો છે. ગરીબોનો મોટો ભાગ ગરીબીની રેખા નીચે જઇ રહ્યો છે.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેને મધ્યપૂર્વની છ વખત તો મુલાકાત લીધી. તે પછી ૭મી મુલાકાત પણ લીધી અને ફરી એકવાર યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો હતો પરંતુ તેમાંથી એક પણ પક્ષ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી તે સૌથી મોટી વિધિની વક્રતા છે. જે ૩૪,૦૦૦ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેમા ૭૦ ટકા મહિલાઓ અને બાળકો છે. તેમની સંખ્યા ૧૪,૩૫૦ છે. તે મૃતકોમાં ૧૭૦થી વધુ યુનોના કર્મચારીઓ છે. વર્લ્ડ સેન્ટ્રલ કીચનના ૭ કર્મચારીઓ અને ૯૦થી વધુ પત્રકારો પણ તે યુદ્ધમાં માર્યા ગયા છે.