અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપશો: CM સમક્ષ રજૂઆત
- ભાજપના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરતો હોવાની વાત કરાઈ
Updated: Jan 22nd, 2019
ગાંધીનગર , તા. 22 જાન્યુઆરી 2019, મંગળવાર
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અંબાજીથી યાત્રા કાઢી છે સમાજના યુવાનોને રોજગારી મળે તથા ઠાકોર સમાજમાં વ્યાપી ગયેલા વ્યસનના દૂષણને દૂર કરવા સહિતના વિવિધ હેતુથી આ એકતા યાત્રા કાઢવામાં આવી છે પરંતુ ભાજપમાં રહેલા ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા જ અલ્પેશની આ એકતા યાત્રાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આજે બપોરે ભાજપના વિધાનસભાના દંડક ભરત ડાભી તથા બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ અને પૂર્વ પ્રધાન કેશાજી ઠાકોર સહિતના કેટલાક ઠાકોર આગેવાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળ્યા હતા તેઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરીને તેમને મૂર્ખ બનાવી રહ્યો છે માટે અલ્પેશ ઠાકોર ને ભાજપમાં પ્રવેશ આપવો નહીં.
સરકાર દ્વારા OBC સમાજ માટે જે કામો કર્યા છે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા તે અંગેની તમામ માહિતી જુદી જુદી મીટીંગ કરીને આપવામાં આવશે મુખ્યમંત્રીએ પણ ઠાકોર આગેવાનોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમજ કોઈ પ્રકારની ચિંતા નહીં કરવાનું આશ્વાસન પણ આપ્યું છે અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં જ એવી વાત થઈ હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ છે અને ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઇ જશે ભાજપે પણ તેમને કોંગ્રેસમાંથી તોડવા માટે મંત્રીપદ અથવા તો કોઈ મોટા હોદ્દાની ઓફર કરી હતી.